
ભારતનું શૅરમાર્કેટ છેલ્લા 5 મહિનાથી તુટી રહ્યું છે. જે છેલ્લા બે દાયકામાં ક્યારેય ન બન્યો હોય તેવો રેકોર્ડ બનાવ્યો છે. એવામાં ક્યાં કારણોસર બજાર તુટ્યું અને ફરીથી તેજી ક્યારે આવશે તેના વિશે જાણીએ ?
Why Indian Stock Market Fall Constantly 5 Months : ભારતીય શૅરમાર્કેટ પર સ્થાનિક અને વૈશ્વિક પરિબળો ભારે પડી રહ્યાં છે અને બજાર સતત તૂટી રહ્યું છે. ચાલુ સપ્તાહમાં 25 ફેબ્રુઆરીએ બજારમાં સામાન્ય રિકવરી આવી હતી, પરંતુ તે અગાઉ સળંગ પાંચ સેશન સુધી શૅરમાર્કેટમાં ઘટાડો થયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 857 પૉઇન્ટ ઘટી ગયો હતો. તેની સાથે નિફ્ટી ઇન્ડેક્સ પણ 22,550 પૉઈન્ટની સપાટીથી નીચે જતો રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ નીતિઓની ભલામણ કરી તે ભારતીય માર્કેટને નડતરરૂપ સાબિત થાય તેમ છે.
ગોલ્ડમૅન સૅક્સના એક અહેવાલ પ્રમાણે ટેરિફ વૉરને કારણે ભારતના જીડીપીને પણ 0.1 ટકાથી 0.6 ટકા સુધી અસર થવાની શક્યતા છે. ગોલ્ડમૅન સૅક્સ જણાવે છે કે ભારત બીજા દેશો મારફત અમેરિકામાં જે નિકાસ કરે છે તેને ટેરિફ વૉરની અસર થઈ શકે છે. અમેરિકાની જે ટેરિફ નીતિ છે તેમાં ભારતીય આયાત પર ટેરિફમાં 6.5 ટકાનો વધારો થઈ શકે છે. ટેરિફ વધશે તો ભારતને નિકાસ કરવામાં મુશ્કેલી નડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત એ દુનિયામાં સૌથી વધુ ટેરિફ ધરાવતો દેશ છે. તેમણે ભારતને યુરોપિયન યુનિયન અને ચીનની સાથે મૂક્યું છે, જે અમેરિકન માલ પર ઊંચો ટેરિફ નાખે છે. ભારતીય બજાર શા માટે ઘટતું જઈ રહ્યું છે? તેના પર તજજ્ઞોએ નીચે મુજબના ચાર કારણો જવાબદાર ઠેરવ્યા છે.
ભારતીય શૅરમાર્કેટમાં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે એફપીઆઇ હાલમાં મોટા વેચાણકાર છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં એફપીઆઇએ લગભગ 37,000 કરોડ કરતાં વધારે કિંમતના ભારતીય શૅરો વેચી દીધા છે. ઓક્ટોબર 2024થી અત્યાર સુધીમાં એફપીઆઇએ ત્રણ લાખ કરોડથી વધારે વૅલ્યૂના ભારતીય શૅરોનું વેચાણ કર્યું છે. હિંદુ બિઝનેસલાઇનના અહેવાલ પ્રમાણે 2025માં બે મહિનાથી ઓછા ગાળામાં એક લાખ કરોડનો આઉટફ્લો નોંધાયો છે.
એફપીઆઇના વેચાણ પાછળ પણ કારણો જવાબદાર છે. તાજેતરમાં ભારતીય શૅરોના ભાવ વધારે પડતા વધી ગયા હતા અને ગ્રોથની ગતિ પણ ધીમી પડી છે. કંપનીઓના ત્રિમાસિક પરિણામો એટલા પ્રોત્સાહક નથી. આ ઉપરાંત રૂપિયો નબળો છે અને ડૉલર મજબૂત બનતો જઈ રહ્યો છે. તેના કારણે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો ભારતીય બજારમાંથી નાણાં બહાર કાઢીને અન્યત્રે રોકી રહ્યા છે. અમદાવાદ સ્થિત એક સ્ટૉક બ્રોકિંગ કંપનીના વડાએ જણાવ્યું કે, "ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) ભારતીય શૅરો વેચે છે, કારણ કે ભારતીય માર્કેટમાં તેમને એટલું બધું વળતર નથી મળ્યું." તેઓ કહે છે કે, "શૅરબજાર વધતું હતું ત્યારે પણ ટેકનિકલી જોતા વિદેશી રોકાણકારોને ભારતીય શૅરમાર્કેટમાં ફાયદો નહોતો થતો. ભારતમાં રૂપિયાની વૅલ્યૂ ઘટવાથી ભારતમાં વાર્ષિક આઠ ટકા આસપાસ વળતર મળ્યું છે, જ્યારે અમેરિકાના સ્થાનિક બજારે 12 ટકા વળતર આપ્યું છે. તેથી તેઓ યુએસ માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કરે એ સ્વભાવિક છે."
અમેરિકાએ અલગ અલગ દેશો સામે ટેરિફ ઝીંકવાની શરૂઆત કરી છે, જેના કારણે અમેરિકામાં માલસામાન મોંઘો થઈ રહ્યો છે અને ફુગાવામાં વધારો થયો છે. યુએસમાં ફુગાવો વધવાના અણસારના કારણે પણ ગયા સપ્તાહે બજાર ઘટ્યું છે. ધીમી આર્થિક વૃદ્ધિ અને ઊંચો ફુગાવો અર્થતંત્ર માટે ભારે નુકસાનકારક હોય છે. રૉયટર્સના અહેવાલ પ્રમાણે અમેરિકાનો પીએમઆઇ આઉટપુટ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં 52.7 હતો તે ફેબ્રુઆરીમાં ઘટીને 50.4 થયો હતો. એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં વિસ્તરણ ઘટ્યું છે. આ દરમિયાન અમેરિકામાં જાન્યુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઇ ફુગાવો અડધો ટકો વધીને ત્રણ ટકા થયો હતો.
પ્રૂડેન્ટ કૉર્પોરેટ ઍડ્વાઇઝરીના સિનિયર એનાલિસ્ટે જણાવ્યું કે, "અમેરિકામાં વધતા ફુગાવાએ ચિંતા વધારી છે, કારણ કે ફુગાવાનો આંક ઊંચો આવે તો યુએસ ફેડ દ્વારા રેટ કટ કરવામાં નહીં આવે જેનાથી ગ્રોથને અસર થશે. સોમવારે નાસ્ડેક અને બીજા ઇન્ડેક્સ આ કારણથી જ ગગડ્યા હતા." ટ્રેડ વૉર વિશે એક્સપર્ટનું માનવું છે કે, "અમેરિકા લાંબા સમય સુધી આ વૉર નહીં ચલાવી શકે, કારણ કે તેનાથી અમેરિકામાં પણ ફુગાવો વધશે. શુક્રવારે બજારમાં આવેલા મોટા ઘટાડાનું આ જ કારણ હતું."
અમેરિકામાં તાજેતરમાં કન્ઝ્યુમર કૉન્ફિડન્સમાં ઘટાડો થયો છે જેના કારણે બજારને આંચકો લાગ્યો છે. ફેબ્રુઆરીમાં અમેરિકન ગ્રાહકોમાં કૉન્ફિડન્સનું પ્રમાણ 15 મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું. ફુગાવામાં થયેલા વધારાના કારણે ગ્રાહકોમાં આત્મવિશ્વાસ ઘટ્યો છે. નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે પોતાની ખર્ચ કરવાની ક્ષમતાને અસર થશે તેવું અમેરિકનો માને છે. યુનિવર્સિટી ઑફ મિશિગનના રિપોર્ટ મુજબ દરેક ઉંમર, આવક અને નાણાકીય ક્ષમતા ધરાવતા ગ્રાહકોમાં કૉન્ફિડન્સ ઘટ્યો છે. વધતા ટેરિફના કારણે ચીજોના ભાવ વધી રહ્યા હોવાથી લોકો ખરીદીમાં રસ ધરાવતા નથી. ભારતીય શૅરબજારે પણ આ આંકડા પર રિએક્શન આપ્યું છે અને બજારમાં ઘટાડો થયો છે. એક્સપર્ટે જણાવ્યું કે અત્યારે બજારમાં જે ઘટાડો થયો તે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પની પૉલિસી અને બીજાં ગ્લોબલ કારણોથી છે. અમેરિકાએ ટેરિફ વધારી તેના કારણે ચીન હવે યુરોપમાં પોતાનો માલ ડમ્પ કરવાનો પ્રયાસ કરશે. ચીન પહેલેથી વધુ પડતા ઉત્પાદનની સમસ્યા એટલે કે ઓવર પ્રોડક્શનનો સામનો કરે છે. આવામાં તેની નિકાસ પણ ઘટશે.
ભારતની ગણતરી સૌથી ઝડપી વિકાસ કરતા દેશોમાં થાય છે, પરંતુ તાજેતરના આંકડા એટલા બધા પ્રોત્સાહક નથી. મૂડીઝ એનાલિટિક્સે જણાવ્યું છે કે 2025માં ભારતનો જીડીપી ગ્રોથ ધીમો પડીને 6.4 ટકા થઈ શકે છે. ટેરિફ વૉરનું સંકટ ઊભું છે ત્યારે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ જે વૃદ્ધિદરની આશા રાખી હતી તે કદાચ સાકાર નહીં થાય. ભારતની જેમ સાઉથ ઇસ્ટ એશિયાના અન્ય દેશોનો વૃદ્ધિદર પણ ઘટી શકે છે, જેઓ મુખ્યત્વે નિકાસ પર આધારિત છે.
શૅરબજાર આટલું ઘટ્યા પછી રોકાણકારો કોઈ તીવ્ર ઉછાળાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ નિષ્ણાતોના મતે આવી આશા રાખવી વધારે પડતી છે. સ્ટૉક બ્રોકિંગ કંપનીના વડા જણાવે છે કે, "બજારમાં તમામ મહત્ત્વનાં પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ગયાં છે, તેથી સારી કંપનીઓના શૅર હાલમાં આકર્ષક ભાવે ઉપલબ્ધ છે, પરંતુ બજારમાં ઓચિંતો ઉછાળો આવે તેવી શક્યતા તેમને દેખાતી નથી." તજજ્ઞોના પ્રમાણે તેમને હાલમાં વી-શૅપ્ડ રિકવરીની શક્યતા નથી દેખાતી. તેઓ કહે છે કે નિફ્ટી ઇન્ડેક્સ અહીંથી કદાચ 200 પૉઇન્ટ ઘટી શકે. નિફ્ટી માટે 22300થી 22500 સૉલિડ સપૉર્ટ લાગે છે. તેમણે જણાવ્યું કે, "હાઇ નેટવર્થ રોકાણકારો અથવા અલ્ટ્રા-હાઇ નેટવર્થ રોકાણકારોમાં કોઈ મોટી ખરીદી જોવા નથી મળતી." ત્રિમાસિક પરિણામોની આગામી સિઝન પછી પસંદગીના શૅરોમાં ખરીદી વધશે એવું તેઓ માને છે. ગુંજન ચોક્સી કહે છે કે ફાર્મા અને બૅંકિંગના શૅરોમાં સારી તક છે.
પ્રૂડેન્ટ કૉર્પોરેટ ઍડ્વાઇઝરીના સિનિયર ઍનાલિસ્ટ પણ માને છે કે બજારમાં તાત્કાલિક તીવ્ર ઉછાળાની કોઈ શક્યતા નથી. તેઓ કહે છે, "નિફ્ટી 22500થી 23,000ની રેન્જમાં રહી શકે છે. હવે બજારની નજર આગામી રિઝલ્ટ સિઝન પર રહેશે. ડિમાન્ડમાં કોઈ રિકવરી આવી કે નહીં તેના પરથી બજારની દિશા નક્કી થશે." તેઓ કહે છે કે, બૅંકિંગ અને આઇટી સેક્ટરના સારી ક્વોલિટીના શૅર ખરીદી શકાય જ્યારે એફએમસીજી અને ઑટો સેક્ટરની કંપનીઓના શૅરને હમણાં ટાળવા જોઈએ. અમેરિકાની ટેરિફ નીતિથી ભારતમાં ફાર્મા અને ઑટો ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ શકે છે. વિદેશી ઑટોમોબાઇલ પર અમેરિકા ટેરિફ વધારે તો ભારતમાં જર્મન કંપનીઓના જે પાર્ટ્સનું ઉત્પાદન થાય છે તેની નિકાસ કરવી મુશ્કેલ બનશે. તેઓએ કહ્યું કે, "નિફ્ટી હવે વધારે નીચે જાય તેમ લાગતું નથી. પરંતુ મિડકૅપ અને સ્મૉલકૅપ શેરો વધારે ઘટી શકે છે."
(સ્પષ્ટતાઃ શૅરબજારમાં રોકાણમાં નાણાકીય નુકસાનનું જોખમ રહેલું છે. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ.)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Why Indian Stock Market Fall Constantly 5 Months : શા માટે ભારતીય સ્ટોક માર્કેટ પાંચ મહિનાથી ઘટી રહ્યુંં છે? | આ ચાર કારણોના લીધે ભારતનું શૅરમાર્કેટ તૂટ્યું, જાણો ફરીથી સ્ટોકમાર્કેટમાં તેજી ક્યારે આવશે ? Why Indian markets are going down?